ગજરાતમાં 6 વિધાનસભાની પેટાચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોંચી ગયો છે. ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો દ્વારા નીતનવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બાયડમાં હતા અને બાયમાં તેમણે કોંગ્રેસ સહિત મનમોહનસિંહ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અરવલ્લી જિલ્લાના માલપુરમાં જનસભાને સંબોધી જેમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
અવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે ત્યારે કોંગ્રેસના ગઢમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાતે જ મોરચો સંભાળ્યો હતો અને કોંગ્રેસ પર વરસી પડ્યા હતો. તેમણે કોંગ્રેસની નાકામયાબીની વાત કરતા કહ્યું કે, દસ વર્ષના કોંગ્રેસના શાસનમાં આતંકી હુમલા થયા અને એક સો છોત્તેર લોકોના મોત થયા હતા અને અતિરેક ઉત્સાહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની જીભ લપસી ગઈ હતી અને મનમોહનસિંહની સરકારના બાયલાપણાના લીધે આતંકીઓની હિંમત વધવાની સાથે કાશ્મીરમાં 41 હજાર લોકોના મૃત્યુ થયા જેમાં સેના અને પોલીસના જવાનો શહીદ થયા હોવાનું જણાવ્યું હતું.
સીએમ રૂપાણીએ આટલે ન અટકી સીધા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો, પીએમ મોદી રજા લીધા વિના કામ કરે છે અને રાહુલ ગાંધી ક્યાં જાય છે કોઇન ખબર નથી, માટે કોંગ્રેસના નેતાઓને શું કરવું અને ક્યાં જવું ખબર નથી પડતી.
રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી અંગે મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, હવે તો રામ મંદિર અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને તે સ્વપ્ન હવે સાકાર થશે, આડકતરી રીતે સીએમ વિજય રૂપાણીએ રામ મંદિર મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરતા પોતાની વાત લોકો સમક્ષ રજૂ કરી હતી.
કોંગ્રેસના ગઢમાં ભાજપે તમામ નેતાઓની ફોજ ઉતારીને કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવાની રણનીતિ બનાવી દીધી છે, તો બીજી બાજુ કોંગ્રેસ પણ તેના તમામ નેતાઓને મેદાને ઉતારી બાયડ વિધાનસભા સીટને ફરી કબજે કરવા કવાયત તેજ કરી છે.