લોજીસ્ટીક, IT- IT એનેબલ્ડ સર્વિસીઝ, માઈનીંગ સેકટરને હવેથી NAની મંજૂરી લેવાની રહેશે નહી, જાણો કેમ?

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં લોજીસ્ટીક સેકટર, માઈનીંગ સેકટર તથા આઈ.ટી. અને આઈ.ટી. બેઈઝ્ડ ઉદ્યોગોનો વ્યાપ વધે અને યુવાનોને વ્યાપક રોજગારી મળી રહે તે માટે વિવિધ વિભાગો સાથે પરામર્શમાં રહીને આ ક્ષેત્રોને બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ (ઉદ્યોગ)નો દરજ્જો આપવાનો વિજય રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

મહેસૂલ મંત્રીએ  ઉમેર્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિઝીટલ ઈન્ડિયાના નિર્માણનું સ્વપ્નું સેવ્યું છે તેને સાકાર કરવા માટે ઝડપી વિકાસ માટે ઝડપી પ્રજાલક્ષી નિર્ણયો લેવા માટે પ્રેરિત કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મક્કમ નિરધાર કર્યો છે. રાજ્યમાં આઈ.ટી. અને આઈ.ટી. આધારીત ઉદ્યોગો વધે તથા લોજીસ્ટીક ક્ષેત્ર તથા માઈનીંગ ક્ષેત્રમાં વિકાસની તકો વધે તે માટે નક્કર આયોજન કર્યું છે.

તેમણે ઉમેર્યું કે, ‘ડિજિટલ ઈન્ડિયા’ તેમજ ‘ડિજિટલ ગુજરાત’ ના નિર્માણમાં આઈ.ટી,આઈ.ટી.ઈ.એસ. (આઈ.ટી. એનેબલ્ડ સર્વિસીઝ) ક્ષેત્રોનું અમૂલ્ય પ્રદાન છે. આ ક્ષેત્રોના પ્રદાનને ધ્યાનમાં લેતાં ગુજરાત સરકાર દ્વારા તેમને ઉદ્યોગનો દરજ્જો અપાયો છે. તેમજ આ નિર્ણયથી આઈ.ટી, આઈ.ટી.ઈ.એસ. ક્ષેત્રોના નિર્માણમાં પ્રગતિ થશે.

કૌશિક પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધે તે માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે આઈ.ટી, આઈ.ટી.ઈ.એસ. સેકટર, લોજીસ્ટીક સેક્ટર અને માઈનીંગ સેક્ટર ક્ષેત્રના ઉદ્યોગકારોને સરળતાથી બિનખેતી પ્રવૃત્તિની મંજૂરી મળી રહેશે. આ ક્ષેત્રોને ‘ખરેખર ઔદ્યોગિક પ્રવૃત્તિ’ ગણી કોઈ ઉદ્યોગ ગૃહ, વ્યક્તિ, કંપની દ્વારા ખેતીની જમીન ખરીદવામાં આવે તો તેવા કિસ્સામાં તે ઉદ્યોગ ગૃહ, વ્યક્તિ,કંપનીની પ્રવૃત્તિને ‘બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પરપઝ’ ગણી ડીમ્ડ એન.એ. પરવાનગી આપવામાં આવશે. જેના પરિણામે ઉદ્યોગકારોને બિનખેતી પરવાનગી જે આગોતરી લેવી પડતી હતી તેમાં સરળતા થવાથી તે પોતાનો ઉદ્યોગ ઝડપથી શરૂ કરી શકશે અને ઉદ્યોગ શરૂ કર્યાં બાદ ડીમ્ડ એન.એ. માટે કલેકટરને અરજી કરી શકશે. એટલે કે આ ઉદ્યોગો બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પરપઝ ગણાશે. પરિણામે ઉદ્યોગો શરૂ કરવાના પ્રાથમિક તબક્કે વહીવટી સરળતા થવાથી ઉદ્યોગોની સ્થાપના ઝડપથી થશે અને રાજ્યમાં ઘરઆંગણે યુવાનોને રોજગારી મળતી થશે.

તેમણે ઉમેર્યું કે, આ નિર્ણયથી કોઈ જમીનનો ઉપયોગ “ખરેખર ઔદ્યોગિક હેતુ” (બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીયલ પરપઝ) માટે કરવાનો હોય ત્યારે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫(ખ) તેમજ ગણોતધારા કલમ 63AAની જોગવાઈ પ્રમાણે સંબંધિત કલેકટરશ્રીની પૂર્વ મંજૂરીની જરૂરીયાત રહેશે નહીં. આવી જમીનના ઉપયોગના 30 દિવસની અંદર કલેકટરને માત્ર જાણ કરવાની રહેશે. જેથી મહેસૂલી કાર્યો કરવામાં સરળતા, પારદર્શિતા તેમજ સમયની સુનિશ્ચિતતા જળવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયના પરિણામે ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસના હેતુઓ જેવાં કે, ઉદ્યૉગની સ્થાપના માટે લેવી પડતી વિવિધ મંજૂરીઓ અને રાજ્યમાં રોકાણ કરવા માંગતા રોકાણકારોને સુગમતા જેવા હેતુઓ બર આવશે. ગુજરાત રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્રની પ્રગતિમાં આગળ વધશે તેમજ ઔદ્યૉગિક ક્ષેત્રે કાર્યરત ઉદ્યૉગ સાહસિકોના સમય તેમજ નાણાંની બચત થશે.