મોદી સરકારની ઉંઘ ઉડાડતો RBIનો રિપોર્ટ: ગ્રાહકોનો વિશ્વાસ સૌથી નીચલા સ્તરે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ શુક્રવારે નાણાકીય નીતિનો અહેવાલ જાહેર કર્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2019માં ગ્રાહકનો આત્મવિશ્વાસ છ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્તમાન સિચ્યુએશન ઈન્ડેક્સ સપ્ટેમ્બરમાં 89.4 પર પહોંચી ગયો છે, જે છેલ્લા 6 વર્ષમાં સૌથી ખરાબ છે. અગાઉ આ સૂચકાંક સપ્ટેમ્બર 2013માં સૌથી ખરાબ નોંધાયો હતો જ્યારે તે 88 પર આવી ગયો હતો.

RBI દ્વારા દર ક્વાર્ટરમાં એકવાર કન્ઝ્યુમર કોન્ફિડન્સ સરવે કરવામાં આવે છે, જેમાં ઘણા મોટા શહેરોમાંથી આશરે 5૦૦૦ ગ્રાહકોની આર્થિક સ્થિતિ વિશે અભિપ્રાય પૂછવામાં આવે છે. આ સર્વેક્ષણ આર્થિક સ્થિતિ, રોજગાર, ભાવ સ્તર, આવક અને ખર્ચ – પાંચ આર્થિક મુદ્દાઓ પર ગ્રાહકોની માનસિક્તાનું પ્રતિબિંબ હોય છે.

કન્ઝ્યુમર ટ્રસ્ટ સરવેમાં મુખ્યત્વે વર્તમાન સ્થિતિ અને ભાવિ અપેક્ષાઓનું ઈન્ડેક્સ હોય છે. છેલ્લા એક વર્ષમાં ગ્રાહક દ્વારા અનુભવાયેલા આર્થિક ફેરફારો દ્વારા આ સરવેને આધાર બનાવવામાં આવે છે.

RBIના સપ્ટેમ્બરના સરવેમાં, સ્પષ્ટ થયું છે કે ગ્રાહકોએ હાલની પરિસ્થિતિ અને ભવિષ્યની અપેક્ષા બંને પર અસંતોષ વ્યક્ત કર્યો છે. જ્યારે વર્તમાન પરિસ્થિતિ 100થી ઉપર હોય ત્યારે ગ્રાહકો આશાવાદી હોય છે અને 100થી નીચે હોય ત્યારે નિરાશાવાદી હોય છે.

સપ્ટેમ્બર 2013માં આ ઇન્ડેક્સ ઘટીને 88 પર આવી ગયો હતો. મોદી સરકારના આવ્યા પછી ગ્રાહકોનો આત્મવિશ્વાસ ઝડપથી વધી ગયો. સપ્ટેમ્બર 2014ના સરવેમાં ઈન્ડેક્સ 103.1 પર પહોંચી ગયો હતો અને ડિસેમ્બર 2016 સુધીમાં, તે 100થી ઉપર રહ્યો હતો. ગ્રાહકો આશાવાદી રહ્યા. પરંતુ નવેમ્બર 2016માં નોટબંધી પછી, ગ્રાહકોનો વિશ્વાસ ઓછો થયો. ડિસેમ્બર 2016ના રાઉન્ડ પછી લગભગ અઢી વર્ષ સુધી ગ્રાહકો નિરાશાવાદી રહ્યા, જેનો અર્થ એ છે કે વર્તમાન સમયગાળામાં આ ઈન્ડેક્સ 100ની નીચે રહ્યું છે.

2019 ની ચૂંટણીઓ સુધી ગ્રાહકો નિરાશાવાદી રહ્યા હતા. માર્ચ 2019 ના સર્વેક્ષણ બતાવે છે કે ચૂંટણી પહેલા ગ્રાહકોની અપેક્ષાઓ વધી હતી. ચૂંટણી પહેલા, વર્તમાન ઈન્ડેક્સ 104.6 પર પહોંચી ગયું હતું. પરંતુ આ આશાઓ વધુ સમય સુધી ટકી ન હતી અને ચૂંટણી પછી જ તરત જ ઈન્ડેક્સ ઝડપથી નીચે આવવા લાગ્યો.

મે 2019 માં હાથ ધરવામાં આવેલા સરવેમાં કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ ઘટીને 97.3 થયો હતો અને તે જુલાઈમાં ફરી 95.7 પર આવી ગયો હતો. હવે તે સપ્ટેમ્બરમાં 89.4 પર આવી ગયો છે, જે મોદી સરકારના કાર્યકાળમાં અત્યાર સુધીનો સૌથી નીચેનું સ્તર છે. હાલની પરિસ્થિતિ અંગે લોકોમાં ઘણો અસંતોષ છે, પરંતુ તેઓ ભવિષ્ય માટે બહુ આશાવાદી નથી. જુલાઈ 2019માં ભાવિ અપેક્ષાઓનું ઈન્ડેક્સ 124.8 હતું, જે સપ્ટેમ્બરના સરવેમાં 118 પર આવી ગયું છે.