કૃત્રિમ લોહીની શોધ: 10માંથી ચાર સસલા મરી ગયા, 6 જીવી ગયા

રોજ નવી નવી શોધો થઈ રહી છે. જન્મથી લઈ મરણ સુધીના રહસ્યો જાણવા વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે ત્યારે જાપાનના વૈજ્ઞાનિકોએ હવે લેબોરેટરીમાં કૃત્રિમ લોહી બનાવવાનો દાવો કર્યો છે. જાપાનના ટોકોરોજાવા ખાતેની નેશનલ ડિફેન્સ મેડિકલ કોલેજમાં આ લોહીને તૈયાર કરવામાં આવ્યુ છે. સંશોધકોનો દાવો છે કે, આ લોહી કોઈ પણ બ્લડ ગ્રૂપ ધરાવતા વ્યક્તિને ચઢાવી શકાય છે. એક વર્ષ સુધી તેને નોર્મલ ટેમ્પરેચરમાં સાચવીને રાખી શકાય છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ લોહીમાં રેડ બ્લડ સેલ, ઓક્સિજન, પ્લેટલેટ પણ મોજુદ છે. લેબોરેટરીમાં થયેલા પ્રયોગો દરમિયાન લોહી ઓછું હોય તેવા 10 સસલાઓને આ લોહી ચઢાવવામાં આવ્યુ હતુ.જેમાંથી 6 સસલા બચી ગયા હતા. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, જો કુદરતી લોહી ચઢાવાયુ હોત તો પણ આટલા સસલાઓ જ બચી શક્યા હોત.

વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે, ઈજાગ્રસ્ત થયા બાદ પણ લોહીની અછતથી મોત થતુ હોવાના કિસ્સા બનતા હોય છે.તેમને આ કૃત્રિમ લોહી ચઢાવીને બચાવી શકાશે.

વૈજ્ઞાનિકોનુ સંશોધન ટ્રાન્ફ્યુઝન નામના જર્નલમાં પ્રકાશિત થયુ છે.અત્યાર સુધી મેડિકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી છે પણ કૃત્રિમ લોહી બનાવવાનુ શક્ય બન્યુ નહોતુ. જાપાનના સંશોધકોએ આ દાવો કરીને મેડિકલ જગતમાં પણ હલચલ મચાવી દીધી છે.