સુરત: Joy N Joyમાં આપઘાત,મંદી- આર્થિક તંગીએ બિલ્ડર હરીશ રવાણીનો ભોગ લીધો, ભારે ચકચાર

સુરત નજીક આવેલા કામરેજ ખાતેના જોય એન્ડ જોય વીક એન્ડ હોમ્સમાં સુરતના બિલ્ડરે આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. પટેલ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોય એન્ડ જોય ખાતે પહોંચ્યા છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ હરીશ શામજી રવાણી પાછલા કેટલાક સમયથી આર્થિક તંગીથી પીડાઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં પાટીદાર સમાજના આગેવાન મહેશ સવાણી સહિતના આગેવાનો કઠોર ખાતે આવેલી પીએચસી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

સુરતના જાણીતા બિલ્ડર ગ્રુપના સાથે સંકળાયેલા અને એન્ટેલિયા ડ્રિમ, ડ્રિમ હોમ, ડ્રિમ હાઉસ, ડ્રિમ હેરિટેજ જેવા હાઈફાઈ પ્રોજેક્ટ હાથ ધરનાર 44 વર્ષના હરેશ રવાણી છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હતા, આજે સાંજે કામરેજ પાસેના જોય એન જોય ખાતેના ફાર્મ હાઉસમાં ગળે ફાંસો ખાઈ મોતને ગળે લગાડી દેતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

નોટબંધી, જીએસટી અને બાદમાં આવેલા રેરા જેવા કાયદાના કારણે બાંધકામ ક્ષેત્રમાં આવેલી મંદીના બિહામણાં પરિણામો આવે તેવી શંકા સાચી ઠરી રહી છે, સોમવારે સાંજે શહેરના ટોચના બિલ્ડર ગ્રુપમાં ગણાતા રવાણી ગ્રુપના નવ યુવાન બિલ્ડર હરેશ રવાણીએ (44) આર્થિક ભીંસમાં મોતને વહાલું કરી દીધું હતુ, શહેરના બિલ્ડર લોબીમાં આ સમાચાર ફેલાતા 100થી વધુ વાહનોનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. હરેશ છેલ્લા ઘણા મહિનોથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

કામરેજ સ્થિત જોય એન જોય ખાતે આવેલા ફાર્મ હાઉસમાં હરેશે પંખા સાથે લટકીને આત્મહત્યા કરતા રવાણી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. રવાણી ગ્રુપ દવારા શહેરના પોશ વિસ્તારમાં પ્રોજેક્ટોની હારમાળા આવેલી છે. શહેરના લુડસ કોન્વેન્ટ સ્કૂલ પાસે આવેલી મેઘદૂત સોસાયટીમાં રહેતા હરેશ રવાણી છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. હરેશને 16 અને 21 વર્ષના ઉત્સવ અને દર્શિત નામના બે પુત્રો છે.

નોટબંધી પછી આવેલા જીએસટીની માર ખાઈને ડચકા ખાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રને રેરા જેવા કાયદાએ પણ રહ્યો સહ્યો શ્વાસ રૂંધી નાખ્યો છે. ત્યારે દિવાળી પહેલા બનેલી આ ઘટના રિયલ એસ્ટેટમાં મંદીને કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિ બયાન કરે છે.