સરકારની ખોટી નીતિઓના કારણે અર્થવ્યસ્થા મંદીમાં સપડાઈઃ મનમોહન સિંહ

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના જીડીપી ગ્રોથમાં થયેલા ઘટાડાને લઇને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે ઇકોનોમિક સ્લોડાઉન માટે મોદી સરકારને જવાબદાર ગણવતા જણાવ્યું છે કે, આ મેન મેડ ક્રાઇસિસ છે. જે અયોગ્ય મેનેજમેન્ટને કારણે ઉત્પન્ન થઈ છે. અર્થશાસ્ત્રના જાણકાર મનમોહન સિંહે જણાવ્યું કે, ગયા ત્રિમાસિકમાં ભારતનો વિકાસદર પાંચ ટકા રહ્યો. આનાથી ખબર પડે છે કે દેશ લાંબી મંદીના ભરડામાં છે. ભારતની પાસે વધારે ઝડપથી ગ્રોથની ક્ષમતા છે, પરંતુ મોદી સરકારના અયોગ્ય મેનેજમેન્ટને કારણે સ્થિતિ વણસી છે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા ગ્રોથ પર મોદી સરકારને આડે હાથ લેતા મનમોહન સિંહે જણાવ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ માત્ર ૦.૬ ટકા રહ્યો હતો. તેથી સ્પષ્ટ છે કે આપણી ઇકોનોમી અત્યાર સુધી નોટબંધી જેવી માનવસર્જિત ભૂલોથી બહાર આવી શકી નથી. આ ઉપરાંત ખોટી રીતે લાગુ કરાયેલા જીએસટીને કારણે પણ સ્થિતિ વધારે ખરાબ થઇ છે.

મનમોહન સિંહે વધુમાં જણાવ્યું હતું કે, ઘરેલુ માગ અને વપરાશમાં ગ્રોથ ૧૮ માસના નીચલા સ્તરે છે. જીડીપી ગ્રોથ પણ ૧૫ વર્ષમાં સૌથી ઓછો છે. આ ઉપરાંત ટેક્સ રેવેન્યૂમાં પણ ઘટાડો થયો છે. નાનાથી લઇને મોટા વેપારીઓમાં ટેક્સ ટેરરિઝમનો ભય છે. રોકાણકારોમાં શંકાનો માહોલ છે અને આ તમામ સંકેતોથી ખબર પડે છે કે અર્થતંત્રની રિક્વરી હાલ શકય નથી.

મોદી સરકાર પર જોબલેસ ગ્રોથને વધારવાનો આક્ષેપ કરતા ભૂતપૂર્વ વડાપ્રધાને દાવો કર્યો કે, માત્ર ઓટોમોબાઇલ સેક્ટરમાં જ ૩.૫ લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે. આ ઉપરાંત અસંગઠિત ક્ષેત્રમાં પણ મોટા પાયે નોકરીઓ ગઇ છે, જેનાથી નબળા વર્ગના મજૂરોની સામે અજીવિકાનું સંકટ ઉભું થયું છે. ગ્રામીણ ભારતમાં સ્થિતિ વિપરીત છે. ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો અને ગ્રામીણ આવકમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મોદી સરકાર નીચા મોંઘવારી દરનો પોતાની સફળતા ગણાવી રહી છે પરંતુ આ ખેડૂતોની કિંમત પર છે, જે દેશની વસ્તીનો ૫૦ ટકા ભાગ છે.

ઉલ્લેખનીય છે કે ચાલું નાણાકીય વર્ષ(૨૦૧૯-૨૦)ના પ્રથમ ત્રિમાસિક(એપ્રિલ-જૂન)માં ય્ડ્ઢઁનો વિકાસ દર(ગ્રોથ રેટ) ઘટીને ૫ ટકા રહ્યો છે. તેનાથી ઓછો ૪.૯ ટકા એપ્રિલ-જૂન ૨૦૧૨માં હતો. ગત ત્રિમાસિકમાં મેન્યુફેકચરિંગ સેકટરની ગતિવિધિયોમાં થયેલા ઘટાડા અને કૃષિ ઉત્પાદનમાં થયેલા ઘટાડાની અસર જીડીપી ગ્રોથ પર વધુ થઈ છે.