ઝાકીર નાઈક પર મલેશિયામાં પ્રતિબંધ, હવે ત્યાં પણ ઉપદેશ આપી શકશે નહીં

મલેશિયામાં ઉશ્કેરણીજનક નિવેદન આપવાના કારણે વિવાદાસ્પદ ધર્મગુરુ ઝાકીર નાઇક પર હવે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે તેઓ હવે કોઇ ઉપદેશ જાહેરમાં આપી શકશે નહીં. નાઇક પર જાહેર રીતે પ્રતિબંધ મુકી દીધો છે. મલેશિયાના વડાપ્રધાન મોહમ્મદ મહાતીર વિવાદાસ્પદ ઉપદેશક અને મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ ઝાકીર નાઇકને ભારતમાં ન મોકલવા પર અડેલા હતા. જો કે હવે આ જ ઝાકીર નાઈક તેમના માટે માથાના દુખાવા સમાન બની ગયા છે.

રોયલ મલેશિયા પોલીસ દ્વારા તેમના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાના અહેવાલને સમર્થન મળ્યુ છે. અત્રે નોંધનીય છે કે જાકીર નાઇક છેલ્લા કેટલાક સમયથી મલેશિયામાં શરણ લઇને રહે છે. ભારત સરકાર મલેશિયાથી ઝાકીર નાઇકના પ્રત્યાર્પણને લઇને આશાવાદી છે. સાથે સાથે આના માટે રજૂઆત પણ કરી રહ્યા છે.

મલેશિયન પોલીસે નિવેદન જારી કરીને કહ્યુ છે કે ઝાકીરના ઉપદેશ પર હવે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સરકાર તરફથી આદેશ મળ્યો હોવાના અહેવાલને પોલીસે સમર્થન આપ્યુ છે. ઝાકીર વર્ષોથી વિવાદાસ્પદ નિવેદન કરવા માટે જાણીતા રહ્યા છે. ઝાકીર નાઇક હિન્દુઓ અને ચીની લોકોને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી કરી ચુક્યા છે.ઝાકીરે ચીની મુળના નાગરિકોને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તેમને પોતાના દેશમાં પરત ફરવું જોઇએ. કારણ કે તેઓ ઓલ્ડ ગેસ્ટ છે. ઝાકીર નાઈકે એમ પણ કહ્યું હતું કે ભારતમાં જેટલા અધિકાર મુસ્લિમોને મળ્યા નથી તેના કરતા વધારે અધિકાર મલેશિયામાં હિન્દુઓને મળ્યા છે.