ભરત પંડ્યાની જાહેરાત: નવેમ્બરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના માળખાની થશે નવેસરથી રચના

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપ પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે ભાજપ પ્રદેશ મહામંત્રીઓ તથા મુખ્ય અગ્રણીઓની પ્રદેશકક્ષાની બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના સંગઠન પર્વ અંતર્ગત આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ભાજપના સંગઠન પર્વ-2019 ના ‘‘સદસ્યતા વૃધ્ધિ અભિયાન’’ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને જનસેવાના ભાવથી દરેક ક્ષેત્ર, દરેક વર્ગ તથા દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે ઓગષ્ટના અંત સુધી આ અભિયાન ચાલુ રહેશે. સાથે સાથે સક્રિય સભ્ય બનાવવાના કાર્યો પણ ચાલુ રહેશે. જેમાં સક્રિય સભ્ય બનવા માટે કાર્યકર્તાએ 25 પ્રાથમિક સદસ્યો બનાવવાના રહેશે.

ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, સંગઠન પર્વ-સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આપવામાં આવેલા સમયપત્રક અંગે અને આગામી કાર્યક્રમો અંગે આજની બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં પ્રાથમિક સભ્યો તથા સક્રિય સભ્યો બનાવવાના રહેશે. તે અંતર્ગત આગામી સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રની સૂચના મુજબ તાલુકા-મંડલ સ્તરે પ્રમુખ સહિત મંડલ સમિતિ-બૂથ સમિતિની રચના કરવામાં આવશે. ત્યારબાદ આગામી ઓક્ટોબર મહિનામાં જીલ્લા પ્રમુખ અને જીલ્લા સમિતિની રચના કરવામાં આવશે અને આગામી નવેમ્બર મહિનામાં પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ સમિતિની રચના કરવામાં આવશે.

ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રદેશના ચૂંટણી અધિકારી તરીકે પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને સહચૂંટણી અધિકારી તરીકે સાંસદ મોહન કુંડારીયાની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે, આગામી સમયમાં જીલ્લા ચૂંટણી અધિકારી તેમજ સહચૂંટણી અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે.

આવતીકાલે 15મી ઓગષ્ટના રોજ ‘‘સ્વતંત્રતા દિવસ’’ નિમિત્તે સવારે 8.30 કલાકે ભાજપ પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તેમના હસ્તે ધ્વજવંદન કરશે, આ પ્રસંગે ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સહિત ભાજપ પ્રદેશ મહામંત્રીઓ, પ્રદેશ અગ્રણીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત 15મી ઓગષ્ટના રોજ ગુજરાતના તમામ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.

તેમણે કહ્યું કે 70 વર્ષ પછી કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાના નિર્ણય અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળની ભાજપની કેન્દ્ર સરકારે જનહિત અને દેશહિતમાં જે ઐતિહાસિક નિર્ણય લીધો છે તે અંગેનો અભિનંદન પ્રસ્તાવ સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાં પસાર કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે જણાવ્યુ હતુ કે, પીએમ મોદી-ગૃહમંત્રી અમિત શાહની જોડીએ કાશ્મીરને કલમ-370ની હથકડીમાંથી મુક્ત કરાવ્યું છે ત્યારે હવે કાશ્મીર પણ સંપૂર્ણપણે રાષ્ટ્રીયપ્રવાહ અને વિકાસના પ્રવાહમાં જોડાવા જઇ રહ્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશની સરકારે આ ઐતિહાસિક નિર્ણય લઇ સરદાર વલ્લભભાઇ પટેલ અને ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીનું સ્વપ્ન સાકાર કરી દેશની એકતા-અંડિતતાને વધુ મજબૂત બનાવી છે.

પૂર્વ અને સ્વર્ગીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રથમ પૂણ્યતિથિ ૧૬મી ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ  વાજપેયીની જીવનયાત્રા-વિચારો-કવિતા-પ્રવચનો સમાવિષ્ટ સાહિત્યનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત જનસેવાના ભાવ સાથે વાજેપેયીને  શ્રધ્ધાંજલી આપવા માટે સફાઇ ઝુંબેશ, હોસ્પિટલોમાં ફળફળાદિ વિતરણ અને વૃક્ષારોપણ જેવા અનેકવિધ કાર્યક્રમો ભાજપાના કાર્યકરો દ્વારા યોજવામાં આવશે તેવું ભરત પંડ્યાએ અંતમાં જણાવ્યુ હતુ.