PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અંગે દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે મોટું નિવેદન આપ્યું છે. રજનીકાંતે PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ભગવાન સાથે સરખામણી કરી છે. રજનીકાંતે PMને ભગવાન કૃષ્ણ અને અમિત શાહની અર્જુન સાથે સરખામણી કરી છે. અમિત શાહને મિશન કાશ્મીર એટલે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મામલે અભિનંદન આપ્યા છે અને કહ્યું છે કે આ એક શાનદાર કાર્ય છે.
રજનીકાંતે કહ્યું કે અમે નથી જાણતા અર્જુન કોણ છે અને કૃષ્ણ કોણ છે પણ આ બન્ને રાજનેતાઓ જાણે છે. રજનીકાંતે આ વાત ચેન્નઈમાં આયોજિત પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આ શબ્દો કહ્યા હતા. પુસ્તકનું ટાઈટલ છે લિસનીંગ, લર્નિંગ એન્ડ લીડીંગ. આ પુસ્તકમાં ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડૂના બે વર્ષના કાર્યકાળની રૂપરેખા પ્રસિદ્વ કરવામાં આવી છે.
રજનીકાંતે આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ નાયડૂને આધ્યાત્મિક વ્યક્તિ લેખાવ્યા હતા અને લોક કલ્યાણમાં રૂચિ રાખનારા નેતા તરીકે વર્ણવ્યા હતા. કાર્યક્રમમાં તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, મુખ્યમંત્રી કે.પલનિસ્વામી અને નાયબ મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલવમ પણ હાજર રહ્યા હતા.