હવે આ તારીખે ચન્દ્રયાન-2 ભરશે ઉડાન, જાણો વધુ

હવે 22મી જુલાઇના દિવસે બપોરે 2.43 વાગે મહત્વકાંક્ષી ચન્દ્રયાન-2ને લોંચ કરવામાં આવનાર છે. ચંદ્રયાન-2નું વજન 3290 કિલોગ્રામ છે. ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ તેનું ઓર્બિટર, લેન્ડરથી અલગ થઇ જશે. ત્યારબાદ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. સાઉથ પોલની જમીન ખુબ જ સોફ્ટ રહેલી છે જેથી રોવરને મુવ કરવામાં સરળતા રહેશે. રોવરમાં છ ટાયર લાગેલા છે જેનું વજન 20 કિલો છે. રોવર અને ઓર્બિટરમાં અનેક સંવેદનશીલ અતિઆધુનિક સાધનો છે જેમાં કેમેરા અને સેન્સર્સ છે. રોવર પણ અતિઆધુનિક સાધનોથી સજ્જ છે. 603 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ આમા કરવામાં આવ્યો છે.

રવિવારે વહેલી પરોઢે 2.51 વાગે એન્જિનમાં લીકેજના કારણે ચન્દ્રયાન-2ની ઉડાનને રોકવાની ફરજ પડી હતી. ચન્દ્રયાન-2ને સોમવારના દિવસે વહેલી પરોઢે લોંચ કરવાની યોજના તૈયાર હતી. જોકે, છેક છેલ્લી ઘડીએ ટેક્નિકલ ખામી સર્જાતા આ લોંચને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

વૈજ્ઞાનિકોએ માહિતી આપતા કહ્યું હતું કે એન્જિનમાં લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ હાઇડ્રોજન ભરવાની કામગીરી દરમિયાન કોઇ તકલીફ થઇ ન હતી. ત્યારબાદ હિલિયમ ભરવાનુ કામ ચાલી રહ્યુ હતુ. અમને 350 બાર સુધી હિલિયમ ભરવાની જરૂર હતી. સાથે સાથે આઉટપુટને 50 બાર પર સેટ કરવાની જરૂર હતી. યોગ્ય સમયમાં લોંચ કરવા માટેની તૈયારી ચાલી રહી છે.