કાંકરીયા દુર્ઘટના: તપાસના આદેશ, રાઈડનાં લાયસન્સ અંગે પણ ઈન્ક્વાયરી

ગુહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કાકરીયા સ્થિત બાલવાટીકા- એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તુટવાના પગલે સર્જાયેલી દુધર્ટનામા ઇજાગ્રસ્ત લોકોને એલજી હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી.પોલીસે પાંચ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

ગુહરાજ્ય મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે એમ્યુઝમેન્ટ પાર્કમાં અકસ્માતે રાઈડ તૂટી હતી .આ રાઇડની  ક્ષમતા ૩૨ લોકોની હતી તે પૈકી 31 લોકો તેમાં સવાર હતા. આ અકસ્માતથી બે લોકોના મૃત્યુ થયા છે અને 29 લોકો એલ.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાના સમાચાર મળતા જ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ તથા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે તે લોકોને સત્વરે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.સાંજે 5.50 કલાકે ઘટના બની અને તરત જ 6.15 કલાકથી સમગ્ર તંત્ર હોસ્પિટલમાં  ખડે પડે હતુ.

ગુહરાજ્ય મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ મહાનગરપાલિકા તથા પોલીસ તંત્રના સતત સંપર્કમાં છે અને ઈજાગ્રસ્ત લોકોને જેટલી જરૂર હોય તેટલી તમામ સારવાર આપવા તંત્રને તાકીદ કરી છે. ઈજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચો અમદાવાદ મહાનગરપાલિકા આપશે.

ગુહરાજ્ય મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે અકસ્માતને પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાઇડનુ લાયસન્સ હતું કે કેમ? મંજૂરી લેવાઇ છે કે કેમ? તથા તેનું મેન્ટેનન્સની વિગતો તંત્ર અને  FSL દ્વારા લેવાઈ રહી છે અને આમાં કસૂરવાર કોઇ પણ લોકોને છોડવા રાજ્ય સરકાર તૈયાર નથી અને કડકમાં કડક પગલાં લેવાશે. મંત્રી એ ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત લઇ તેમને સુદૃ્ઢ સારવાર મળે તે માટે હોસ્પિટલને સૂચના આપી હતી.

અમદાવાદના મેયર બિજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.