બે સપ્તાહની લાંબી દરિયાઈ યાત્રા કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારે પહોંચેલું વાયુ વાવાઝોડું ગઈ રાત્રે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું અને કચ્છના કિનારે ખેંચાઈને અરબી સમુદ્રમાં જ સમાઈ ગયું હોવાનું સ્કાયમેટે જણાવ્યું છે. ગુજરાતના માથેથી વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ તમામ બંદરો પરથી ભયજનક સિગ્નલ દુર કરવામાં આવ્યા છે અને કામગીરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. વાયુની અસરના કારણે ગુજરાતભરમાં મોડી રાતથી ઠેક-ઠેકાણો હળવાથી ભારે વરસાદ થયો હતો.
વાયુની અસરના કારણે ગુજરાત ભરમાં ભેજ સાથે વાદળછાયું વાતાવરણ જામ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણ પલટાયું છે અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો.જોકે, દરિયા કાંઠાના વિસ્તારોમાં 50-60ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભયંકર તાપ અને ગરમીથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી થોડા દિવસો સુધી પણ આ રીતે વરસાદી ઝાપટા પડી શકે છે.
રાજકોટમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. સવારથી સવારથી શહેર અને જિલ્લામાં વરસાદી અકીલા ઝાપટાં પડ્યા હતા.
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલાના પીપાવાવ,જૂની માંડરડી,આગરિયા,કોટડીમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ઊનામાં વહેલી સવારથી હવામાન વાદળછાયું રહ્યું અને વરસાદ થયો. વહેલી સવારે પવન સાથે ધોધમાર વરસાદ થયો. ભારે બફારા બાદ હવામાનમાં ઠંડક પ્રસરતાં લોકોએ રાહત અનુભવી હતી.
રાજ્યના ધોરાજી, ઉપલેટા, જેતપુર, વેરાવળ, શાપર, ભાવનગર, પાલીતાણા, મોરબી સહિતના ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો
ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ દક્ષિણમાં હળવો વરસાદ પડી રહ્યો છે. ઇડર, પ્રાંતિજ, મોડાસા, ભિલોડામાં સુસવાટા મારતા પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
સુરતમાં પણ મેધરાજાની પધરામણી થઈ છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. વરસાદના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.