પડધરી ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રની અંતિમયાત્રા નીકળી છે. લલિત કગથરાના નિવસ્થાનેથી નીકળેલી પુત્ર વિશાલની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી, શંકરસિંહ વાઘેલા સહિત ભાજપ-કોંગ્રેસના નેતાઓ જોડાયા છે. લલિત કગથરાના પુત્રોને અકસ્માત નડ્યો હતો. પશ્વિમ બંગાળમાં દિવ્યાંગ બાળકોને પ્રવાસે લઇ ગયા હતા ત્યારે તેમની લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. દિકરાને અંતિમ વિદાય આપતા લલિત કગથરા ધ્રુસ્કે-ધ્રુસ્કે, ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ટંકારાનુ આખું પડઘરી ગામ હિબકે ચઢયું હતું.
અકસ્માતમાં લલિત કગથરાના બે પુત્રો પૈકી એક પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પુત્ર ઘાયલ થયો હતો. આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ સમાચાર ન માની શકાય તેવા હતા. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુ:ખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ખૂબ જ દુ:ખદ બનાવ છે. કોઇને ત્યાં ભગવાન આ પ્રકારનું દુ:ખ ન આપે. નાની ઉંમર અને ઓચિંતું અકસ્માતમાં મૃત્યુ આ દુ:ખની કલ્પના કરવી પણ અઘરી છે.
સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, લલિતભાઇ અને ઇલાબહેન પર દુ:ખના વાદળો તૂટી પડ્યા હોય તેવી ઘટના છે. લલિતભાઇ અને ઇલાબહેન સાથે મારા જૂના અને પારિવારીક સંબંધો છે. હું મેયર હતો ત્યારે ઇલાબહેન ભાજપના કોર્પોરેટર હતા. મારા તો પાડોશી છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુ:ખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.