સુરતમાં વિશાલ દર્શન બિલ્ડીંગ તૂટી પડ્યું, તિજોરી માટે વેપારીએ લગાવી જાનની બાજી

સુરતના પોશ ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા અને વર્ષો જૂના એપાર્ટમેન્ટમાં દુર્ઘટના બની હતી. 35 વર્ષ જૂનું બિલ્ડીંગ નમી ગયું અને આજે સવારે આ બિલ્ડીંગ ધડાકાભેર તૂટી ગયું હતું.જોકે, આ બિલ્ડીંગમાં 11 પરિવારોને અગમચેતી રૂપે રાત્રે જ સલમાત રીતે અન્યત્ર ખસેડી લેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ બિલ્ડીંગનું તમામ કાટમાળ ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં 35 વર્ષ જૂનું વિશાલ દર્શન એપાર્ટમેન્ટ આવેલું છે. આ બિલ્ડીંગ પાછલા કેટલાય સમયથી મેઈનટેનન્સના અભાવે જર્જિરિત થઈ ગયું હતું. બિલ્ડીંગ એક તરફ નમી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આજે ધરાશયી થયેલા બિલ્ડીંગમાં ઈજા કે અન્ય જાનહાનિ થઈ નથી.

બિલ્ડીંગને ઉતારી પાડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે હીરના વેપારીએ પોતાની તિજોરી લેવા માટે ભારે ડેરીંગ કર્યું હતું. બિલ્ડીંગ નમી જતા વેપારી પહેરેલ કપડે બહાર ભાગ્યો હતો પણ પોતાની તિજોરી લેવા માટે વેપારીએ બૂલડોઝરના થાળામાં બેસીને તિજોરી સહિત લાખો રૂપિયાનો માલ-સામાન બહાર કાઢ્યું હતું.