નેધરલેન્ડના દરિયાકાંઠે લગભગ ત્રણ હજાર કારને લઈ જતા માલવાહક જહાજમાં મોટી આગ ફાટી નીકળતાં ભારતીય ક્રૂ મેમ્બરનું મૃત્યુ થયું હતું અને અન્ય 20 લોકોને ઈજા પહોંચી હતી.જહાજમાં લોડ કરાયેલા ઈલેક્ટ્રીકલ વ્હીકલમાં આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ છે. આમાં 25 લોકો સવાર હોવાની આશંકા છે.જોકે,આગ લાગવાની સમગ્ર ઘટના શંકાસ્પદ બની રહેવા પામી છે.
આગ મંગળવારની રાત્રે 18,500 ટન પનામા-રજિસ્ટર્ડ જહાજ, ફ્રેમેન્ટલ હાઇવે પર ફાટી નીકળી હતી. આ કાર્ગો શીપ જર્મનીથી ઇજિપ્ત તરફ જઈ રહ્યું હતું. ક્રૂ મેમ્બરોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને જ્યારે તેમના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા ત્યારે કેટલાકને દરિયામાં કૂદી જવાની ફરજ પડ હતી.
ભારતીય ક્રૂ મેમ્બરના મૃત્યુને કન્ફર્મ કરતાં નેધરલેન્ડમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું કે ઉત્તર સમુદ્રમાં શિપ ‘ફ્રેમેન્ટલ હાઇવે’ સાથે ઘટેલી ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ, જેના પરિણામે એક ભારતીય નાવિકનું મૃત્યુ થયું અને ક્રૂ મેમ્બરોને ઇજા થઈ છે. ભારતીય એમ્બેસી મૃતકના પરિવારના સંપર્કમાં છે અને મૃતદેહોને પરત લાવવામાં મદદ કરી રહ્યું છે. આ ઉફરાંત દુતાવાસ 20 ઈજાગ્રસ્તો સાથે પણ સંપર્કમાં છે.
ડચ કોસ્ટગાર્ડના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે કેટલાક લોકો પાણીમાં કૂદી ગયા પછી 23 ક્રૂ સભ્યોને જહાજમાંથી બહાર કાઢવા માટે બોટ અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એવી આશંકા છે કે જહાજ ડચ ટાપુ એમેલેન્ડથી 27 કિમી ઉત્તરમાં, વેડન સમુદ્રમાં દૂર ડૂબી શકે છે. આ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે વિશ્વમાં સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે સૌથી મહત્વપૂર્ણ પ્રદેશોમાંનું એક માનવામાં આવે છે.
આગને કાબૂમાં લેવા માટે કેટલાક ક્લાકો અથવા અઠવાડિયું પણ લાગી શકે છે. હાલમાં તો ઈલેક્ટ્રીક વ્હીકલના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે પણ આગ ફાટી નીકળતા પહેલાં જ્યારે જહાજ અમેલેન્ડથી 30 કિમી દુર હતું ત્યારે એક શંકાસ્પદ કોલ આવ્યો હતો.23 ક્રુ મેમ્બરોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો પણ આગ ખૂબદ તીવ્ર ઝડપે ફેલાઈ ગઈ હતી. રોડરડેમથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા, પણ ત્યાં સુધી સમગ્ર જહાજ આગની ઝપટમાં આવી ગયું હતું. મૃત્યુઆંક વિશે હજુ પણ કોઈ ચોક્કસ આંકડો મળી શક્યો નથી.