આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાત કોંગ્રેસની સ્થિતિ સાવ જ પાંગળી થતી જાય છે. સંગઠનમાં શૂન્યતાની સાથો સાથ કાર્યકરોની નિષ્ક્રીયતા અને નેતાઓ વચ્ચેની જૂથબંધીના કારણે લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસને ગુજરાતની 26 બેઠકો માટે 26 ઉમેદવારો મળશે કે કેમ તે અંગે પણ હવે ચર્ચા થવા લાગી છે.
કોંગ્રેસના સિનિયર આગેવાનો લોક સપંર્ક ગુમાવી ચૂક્યા છે. લોકો વચ્ચે કોંગ્રેના નેતાઓ અને કાર્યકરો પાયાની સમસ્યાઓનાં મુદ્દાને લઈ વિપક્ષ તરીકે અસરકારક કામગીરી કરતાં દેખાઈ રહ્યા નથી. આમ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જોતાં ગુજરાતની 26માંથી 26 સીટો અત્યારથી ભાજપને તાસક પર ધરી દીધી હોય એવો માહોલ બની ગયો છે.
ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાના દેખીતા સંગઠનિક સ્તરે પ્રયાસો થઈ રહ્યા હોવાની પ્રતિતિ થઈ રહી નથી. વર્ષોથી કોંગ્રેસનું કામ કરી રહેલાં કાર્યકરો હવે કોંગ્રેસથી થાક્યા હોય અને નવા પ્રયાસો કરતાં જોવા મળી રહ્યા છે. કેટલાક કાર્યકરો તો હવે ભાજપમાં જોડાવાનો પણ વિચાર કરી રહ્યા છે તો કેટલાક આમ આદમી પાર્ટી તરફ ફંટાઈ રહ્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ પાછળ અનેક કારણો હોઈ શકે છે પણ મહત્વનું કારણ એ છે કે હાર બાદ સંગઠનને જોરથી ધબકતું રાખવાની જરુરના બદલે હજુ પણ આગેવાનો જૂથબંધીમાં રચ્યા-પચ્યા છે. કોંગ્રેસની આ જૂથબંધી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસનો એકડો જ કાઢી નાંખે તેવી ભીંતિ ખુદ કોંગ્રેસના કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે.