અમદાવાદમાં કર્ફ્યૂથી રસ્તા સુમસામ, શહેરમાં પ્રવેશતા વાહનોચાલકોની પોલીસ દ્વારા પૂછપરછ

દિવાળી બાદ કોરોના કેસમાં અસંખ્ય વધારાને કારણે અમદાવાદમાં બે દિવસ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં ૫૭ કલાકના કરફ્યૂની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે કરફ્યૂને કારણે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા છે. બરોડા એક્સપ્રેસ વે પર એકલ-દોકલ વાહનની અસર જોવા મળી રહી છે. તે સિવાય શહેરમાં પ્રવેશતા વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. કોરોનાના સંક્રમણ વઘતા અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરતમાં પણ કરફ્યૂ આપી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં કરફ્યૂથી રસ્તાઓ સૂમસામ બન્યા છે.

આ વચ્ચે બરોડા એક્સપ્રેસ વે પર એકલ દોકલ વહાનોની અવર જવર જોવા મળી હતી પરંતુ શહેરમાં પ્રવેશતા વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ પોલીસ શહેરમાં પ્રવેશ કરી રહેલા વાહનોની પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ દિવસેને દિવસે રેકોર્ડ તોડ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૪૨૦ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના નવા કેસની સામે આજે ૧૦૪૦ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો ૧,૭૭,૫૧૫ પર પહોંચ્યો છે. આજે ૭ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૩૮૩૭ પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં ૧૩૦૦૦ એક્ટિવ કેસ છે.

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને શુક્રવાર રાતે ૯થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુનો રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં ૨૦ નવેમ્બરથી રાત્રે ૯ વાગ્યાથી સોમવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ રહેશે.