રિયાની કોલ ડિટેઈલ સામે આવી, સુશાંતના મોત બાદ બાંદ્રા ડીસીપી સાથે ચાર વાર વાત કરી

સુશાંતસિંહ રાજપુત કેસમાં મુંબઇ પોલીસ સામે પણ પ્રશ્નાર્થમાં મૂકાઈ રહ્યો છે. હવે રિયા ચક્રવર્તીની કોલ ડિટેલ્સ જોયા પછી એક ચોંકાવનારી વાત બહાર આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતના મૃત્યુ પછી રિયા ચક્રવર્તી બાન્દ્રાના ડીસીપી સાથે સતત સંપર્કમાં હતી અને તેણે ડીસીપીને ઘણી વાર ફોન પણ કર્યો હતો.

કોલ ડિટેઈલની વિગતો જોઈને ખબર પડી છે કે રિયા ચક્રવર્તી અને બાંદ્રાના ડીસીપી અભિષેક ત્રિમુખેએ ફોન પર ચાર વાર વાત કરી છે. આ ઉપરાંત મેસેજ મારફત પણ સંપર્ક પણ કરવામાં આવ્યો છે. જે માહિતી બહાર આવી છે તે મુજબ, રિયાએ 21 જૂને 28 સેકન્ડ માટે બાંદ્રા ડીસીપી સાથે ફોન પર વાત કરી હતી. 22 જૂને ડીસીપીએ રિયા માટે મેસેજ છોડ્યો હતો.

આ પછી, ડીસીપી અભિષેક ત્રિમુખે પણ રિયા સાથે ફોન પર 22 મી તારીખે 29 સેકન્ડ માટે વાત કરી હતી. ત્યારબાદ 8 દિવસ પછી, રિયા ચક્રવર્તીને ડીસીપી અભિષેક ત્રિમુખેનો ફોન આવ્યો. ત્યારબાદ બંને વચ્ચે 66 સેકંડ સુધી વાતચીત થઈ. આ પછી, બંનેએ થોડા દિવસો સુધી એકબીજા સાથે વાત કરી નહોતી, પરંતુ 18 જુલાઈએ ફરી એક વાર ડીસીપીને રિયાએ ફોન કર્યો હતો.

આ ફોન કોલ્સ પર, મુંબઇ પોલીસ કહે છે કે આ કોલ એ સમયના છે જ્યારે રિયાને બાંદ્રા પોલીસ સ્ટેશન અને સાન્તાક્રુઝ સ્ટેશન બોલાવવામાં આવી હતી. રિયાને નિવેદન નોંધાવવા બોલાવવામાં આવી હતી. આ ફોન કોલ સત્તાવાર કારણોસર કરવામાં આવ્યો હતો.