નિર્ભયાને મળ્યો ન્યાય : ક્યાં છે તેનો મિત્ર અવીન્દ્ર પાંડે?

નિર્ભયા બળાત્કાર કેસમાં દોષિતોને ફાંસી થયા પછી જેટલી ખુશી નિર્ભયાના પિરવારને થઇ હશે એટલો જ રાહતનો શ્વાસ તેના મિત્ર અને આ ઘટનાના એકમાત્ર સાક્ષી અવનીન્દ્ર પાંડેએ પણ લીધો હશે. અવનીન્દ્ર પાંડે આ ઘટના સમયે નિર્ભયાની સાથે હતો અને તે ઘટનાનો તે એકમાત્ર નજરે જોનારો સાક્ષી હતો, તેની સાથે જ નિર્ભયા તે રાત્રે ફિલ્મ જોઇને પરત ફરી રહી હતી. 7 વર્ષ અને 3 મહિના દરમિયાન અવનીન્દ્રએ પણ ઘણું સહન કર્યું છે. કેસ દરમિયાન તેના પર પણ ઘણાં આરોપ લાગ્યા, હાલમાં અવનીન્દ્ર વિદેશમાં છે.

અવનીન્દ્રએ 3 વર્ષ પહેલા જ લગ્ન કર્યા છે અને હાલ તે પોતાની પત્ની સાથે વિદેશમાં સેટલ છે અને ત્યાં જ નોકરી કરે છે, તેને એક પુ્ત્ર પણ છે. એવા અહેવાલો પણ આવ્યા હતા કે નિર્ભયાના દોષિતોને સજાની જાહેરાત થઇ ત્યારે તે ઘણો ખુશ થયો હતો. અવનીન્દ્ર ગોરખપુરના તુર્કમાનપુરનો રહીશ છે તેના પિતા ગોરખપુરના એક વિખ્યાત વકીલ છે. તેમણે જ 2017માં જણાવ્યું હતું કે તેમના પુત્રએ લગ્ન કરી લીધા છે. વ્યવસાયે એન્જિનિયર એવો અવનીન્દ્ર હાલ ક્યાં છે તે જણાવવાનો તેના પિતાએ ઇનકાર કર્યો હતો.