બી-ટાઉનનું સૌથી ચર્ચિત કપલ આલિયા અને રણબીરના ફેન્સ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. આ બંને ડિસેમ્બરમાં ફેરા ફરશે તેવી ચર્ચા છે ત્યારે ફેન્સને આઘાત લાગે તેવા સમાચાર એવા આવ્યા છે કે આ બંનેના સંબંધો પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું હોવાના અહેવાલો છે. 2 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ આલિયા-રણબીરે એકબીજાને ‘બાય-બાય’ કહી દીધું છે. જો કે આ અહેવાલો માત્ર તર્ક પર જ આધારિત છે અને તેમના નજીકના સૂત્રો કહે છે કે બંને એકબીજા સાથે ઘણાં ખુશ છે અને તેઓ વચ્ચે કોઇ ખટાશ ભળી નથી.
અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર પાંગરેલા પ્રેમનો કડવો અંત આવ્યો હોવાના અહેવાલો પ્રસર્યા પછી એવું કહેવાયું હતું કે આમ કેમ થયું તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એટલું જ નહીં એક મીડિયા રિપોર્ટમાં તો એવો દાવો કરવામાં આવ્યો છે કે, રણબીરનો આલિયા પ્રત્યેનો ‘ઠંડો પ્રતિસાદ’ કથિત બ્રેકઅપનું કારણ છે. જો કે આલિયા-રણબીરના નજીકના સૂત્રએ કપલની રિલેશનશીપ વિશે ખુલાસો કર્યો છે અને તેના મતે આ વાતો માત્ર મીડિયાના ભેજાની પેદાશ છે.
સૂત્રના જણાવ્યા પ્રમાણે, “આ તમામ અહેવાલો પાયાવિહોણા છે. આલિયા અને રણબીર એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે અને એકબીજા સાથે ખુશ છે.” ત્યારે હવે સવાલ ઊભો થાય કે આવી અફવાને હવા ક્યાંથી મળી? તો જણાવી દઈએ કે, આલિયાએ હાલમાં જ 15 માર્ચે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. આલિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની ગર્લગેંગ સાથેના બર્થ ડે સેલિબ્રેશનના ફોટોઝ અને ટીકટોક વિડીયો શેર કર્યો હતો. આલિયાએ પોતાના ખાસ દિવસ પર શું કર્યું તેની ઝલક ફેન્સને બતાવી હતી.
આલિયાના બર્થ ડે સેલિબ્રેશનના એકપણ વિડીયો કે ફોટોમાં રણબીર દેખાયો નહોતો. જેના કારણે આલિયા અને રણબીરનું બ્રેકઅપ થઈ ગયું હોવાની ચર્ચા ચાલી હતી. આલિયાના બર્થ ડે સેલિબ્રેશનના વીડિયોમાં તેની ગર્લ ગેન્ગ સાથે જ તે જોવા મળે છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, આલિયાના બર્થ ડે પર રણબીરની બહેન રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો શેર કરીને તેને શુભેચ્છા આપી હતી. તો આલિયાની મમ્મી સોની રાઝદાને મૂકેલી પોસ્ટમાં નીતુ કપૂરે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.