કોરોના વાયરસ : નાના બાળકના વાલીઓ આ 7 બાબતોને ધ્યાને રાખે

કોરોના વાયરસના વધી રહેલા ચેપને ધ્યાને લઇને આજે દરેક વ્યક્તિ ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. જો કે સરકાર તરફથી સતત એડવાઈઝરી જાહેર કરવામાં આવી રહી છે અને લોકોને ખાતરી આપવામાં આવી રહી છે કે સ્થિતિ સામાન્ય છે અને ડરવાની જરૂર નથી. તેમ છતાં લોકોએ ખાસ કરીને નાના બાળકોના વાલીઓએ કોરોના વાયરસથી બચવા માટે કેટલીક જરૂરી વાતો જાણવી જોઈએ, જે તેમને અને તેમના બાળકને કોરોનાના ચેપથી બચવામાં મદદ કરી શકે છે. આજે દેશના દરેક લોકોના મનમાં કોરોના વાયરસને લઈને અલગ-અલગ પ્રકારના સવાલ ઊભા થઈ રહ્યા છે. યુનિસેફ દ્વારા કોરોના વાયરસને લઈને લોકોના મનમાં ઉઠી રહેલા સવાલના જવાબ આપવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક ખાસ અને અગત્યના કહેવાય તેવા પ્રશ્નોના જવાબ અમે તમને જણાવીએ છીએ.

1 નોવેલ કોરોના વાયરસ ખરેખર શું છે?

હકીકતમાં આ વાયરસનું નામ જ છે. નોવેલ કોરોના વાયરસથી આ રોગની શરૂઆત ચીનના વુહાન શહેરમાં સૌથી પહેલા થઈ હતી. આ વાયરસના કારણે રોગપ્રતિકારક ક્ષમતા નબળી થઈ જાય છે અને કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છે, જેવા શિયાળાની ઋતુમાં મોટાભાગે બિમાર લોકોમાં એવા લક્ષણ જોવા મળે છે.

2 કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે?

કોરોના વાયરસથી પિડાતી વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે. સામાન્ય રીતે આ વાયરસ ઉધરસથી કે છીંક ખાવાથી વધારે ફેલાય છે. આ સિવાય ચેપી વ્યક્તિ દ્વારા સ્પર્શ કરાયેલા કોઇપણ જાતના સામાન અથવા વસ્તુ પર પણ વાયરસ રહે છે. જો કોઈ સ્વસ્થ વ્યક્તિ તે સામાનને અડી લે તો તેને પણ કોરોના વાયરસનો ચેપ થઈ શકે છે.

3 કોરોના વાયરસના લક્ષણો કયા છે?

કોરોના વાયરસના લક્ષણોમાં અત્યારસુધીમાં ડોક્ટરોએ કેટલાક ખાસ લક્ષણો જણાવ્યા છે. કોરોના વાયરસથી ચેપી વ્યક્તિમાં તાવના લક્ષણની સાથે જ તેને શ્વાસ લેવામાં તકલીફ થતી જોવા મળે છે. કેટલાક કેસમાં તો શ્વાસ લેવામાં એવી તકલીફ પડે કે જેના કારણે વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. તેના લક્ષણો શરદી-ઉધરસ જેવા હોય છે, તેથી તેને ઓળખવામાં લોકો થાપ ખાઈ જાય છે.

4 કોરોના વાયરસના ખતરાથી કેવી રીતે બચવું?

  • તમે પોતાને તેમજ પરિવારને આ વાયરસના ચેપથી બચાવવા માટે કેટલીક ખાસ સાવધાનીઓ રાખી શકો છો.
  •  હાથને પાણી અને સાબુથી સારી રીતે ધુઓ. જો શક્ય હોય તો આલ્કોહોલ બેઝ્ડ હેન્ડ રબ દ્વારા તમારા હાથને સારી રીતે ધુઓ.
  • મોં અને નાકને માસ્ક દ્વારા ઢાંકીને રાખો. ઉધરસ ખાતી વખતે કે છીંક ખાતી વખતે ટિશ્યૂનો ઉપયોગ કરો અને બાદમાં તેને ડસ્ટબિનમાં ફેંકી દો.
  • જે લોકોમાં શરદી-ખાંસીના લક્ષણ દેખાય તેમની વધુ નજીક ન જવું.
  • જો તમારા બાળકને તાવ, શરદી, ઉધરસ તેમજ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તો તરત જ ડોક્ટર પાસે લઈ જાઓ.

5 શું મારે પણ મેડિકલ માસ્ક પહેરવું જરૂરી છે?

હા, જો તમને શરદી-ઉધરસને લગતી કોઈ સમસ્યા છે તો તમારે મેડિકલ માસ્ક પહેરવાની જરૂર છે. આ સિવાય તમે સ્વસ્થ છો તો પણ માસ્ક પહેરીને રાખો. જેનાથી જો તમારા સંપર્કમાં કોઈ વાયરસ આવશો તો પણ મોં અને નાક ઢાંકેલું હોવાથી તમને તેનો ચેપ લાગી શકશે નહીં.

6 શું તે બાળકો અને ગર્ભવતી મહિલાઓને સંક્રમિત કરી શકે છે?

આ અંગે હાલ કંઈ કહી શકાય નહીં. જો કે, બાળકોમાં કોરોના વાયરસના ચેપના કેસ ખૂબ ઓછા જોવા મળ્યા છે. ગર્ભવતી મહિલાઓને ચેપની સ્થિતિ પણ ડોક્ટરો દ્વારા ટૂંક સમયમાં જણાવાશે. તેથી પ્રયાસ કરો કે તમે તમારા બાળકને સુરક્ષિત રાખો અને તેને માસ્ક પહેરાવો. સાથે જ તે વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ ચેપી વ્યક્તિ તમારા બાળક અને ગર્ભવતી મહિલાના સંપર્કમાં ન આવે.

7 બાળકોમાં કોરોના વાયરસના લક્ષણને કેવી રીતે પારખવા?

બાળકોમાં કોરોના વાયરસના લક્ષણોને ઓળખવા માટે તમે આ વાયરસના સામાન્ય લક્ષણોને ધ્યાનથી સમજો. બાળકોને શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો જોવા મળે કે તરત જ તપાસ માટે ડોક્ટર પાસે લઈ જાઓ. આ દરમિયાન બાળકને શરદી થઇ હોય તો માસ્ક પણ પહેરાવો.