’હું એકલો છું સામે બધા લોકો છે છતાં ઉભો છું’: નીતિન પટેલ

ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પોતાના વિરોધીઓના નામ આપ્યા વગર નિશાન તાક્યુ હતું. તેમણે કહ્યું, ’હું એકલો છું સામે બધા લોકો છે છતાં ઉભો છું. તે મા ઉમિયાના આર્શિવાદ છે. પાટીદારનું લોહી છે. ભાજપ પક્ષનો એક કાર્યકર્તા છું.કેટલાક લોકો મને ભુલવાનો પ્રયાસ કરે છે. પરંતુ હું કઇ ભુલતો નથી.

શું ફરી એકવાર નીતિન પટેલ દ્વારા ભાજપના શિર્ષ નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે કે, પછી ભાજપમાં ચાલતી આંતરિક ખેચતાણ ફરી એકવાર બહાર આવી છે. જે જાહેર મંચ પરથી નીતિન પટેલ એકલા પડી ગયા હોવાની વાત કરે છે.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજીત શિલાન્યાસ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાહેર મંચ પરથી સ્પિચ અપવામાં આવી હતી. મુખ્યમંત્રી સહિત ભાજપના મંત્રીઓ અને નેતા તેમજ સમાજના શ્રેષ્ઠીઓ તેમજ ધર્મ ગુરુઓ સંતો મંચ પર હાજર હતા. પરંતુ આ મંચ પરથી નીતિન પટેલે પોતાના વિરોધીઓ પર નિશાન તાકવાનું ચુક્યા ન હતા, અને કહી દીધુ હતું કે, ’હું એકલો છુ સામે બધા લોકો છે છતા ઉભો છું. હું કોઇ વસ્તુ ભુલતો નથી. અહીંયા એમ જ નથી પહોંચ્યો, હસતા હસતા મંચ પરથી ભાજપના ધારાસભ્યો સામે જોતા કહ્યુ હતું કે, પૂછી લો આ બધાને કે રોજ પેપર અને ટીવીમાં જોતા હશો કે બધા એક બાજુ હું એકલો છું. મા ઉમિયાના આર્શિવાદથી હું અહી છુ. લોહી પાટીદારનું છે, હું ભાજપ પક્ષના કાર્યકર્તા તરીકે બોલુ છું.’

વધુમાં નિતીન પટેલે પોતાના સંબોધનમાં કહ્યુ હતું કે, અનેક લોકોને હું ગમતો નથી. મને ભુલવાનો પ્રયાસ કરે છે, પરંતુ હું કોઇને ભુલતો નથી.મહત્વપૂર્ણ છે કે, આ પહેલા પણ નીતિન પટેલે આડકતરી રીતે પોતાના વિરોધી પર નિશાન તાકી ચુક્યા છે. ભાજપમાં ચાલી રહેલા આંતરિક ખેચતાણ જાણે હવે જાહેર કાર્યક્રમ સુધી પહોંચી ગયો છે. સીએમ વિજય રૂપાણી પણ કહી ચુક્યા છે કે હું, અહી અડધી પીચે ક્રિકેટ રમાવા આવ્યો છે. પરંતુ બીજા દિવસે જ નીતિન પટેલ દ્વારા આ મુદ્દે કહ્યુ હતું કે, મને ક્રિકેટમાં રસ નથી. જેને લઇ રાજનીતિ ગરમાઇ હતી. ભાજપના વર્તુળમાં એક ચર્ચા ચાલી હતી કે, શું સીએમ બદલાય છે. કે પછી નીતિન પટેલ નારાજગી બહાર આવી છે. પરંતુ કોઇ નેતાઓએ આખરે ફોડ નથી પાડ્યો. અને હવે આ શિત યુદ્ધ ખરેખર શું સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શાંત થશે કે પછી હજુ ઉગ્ર બનતુ જોવા મળશે તે સમય બતાવશે.