નમસ્તે ટ્રમ્પ માત્ર સ્વાગત કાર્યક્રમ, જાણો કોણે કહ્યું કે મોટેરાનું ટ્રમ્પ ઉદ્વઘાટન કરશે નહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની 24 ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઈ પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાનાર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને આજે મીડિયા ટીમ સાથે પોલીસ અધિકારીઓ અને જીસીએના હોદ્દેદારોએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું, જો કે 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન થશે નહીં માત્ર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ જ યોજાવાનો છે.

આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ સ્ટેડિયમના ઉદ્ઘાટન અંગે જણાવ્યું કે, આ કાર્યક્રમ ટ્રમ્પના ભવ્ય સ્વાગત માટે છે. સ્ટેડિયમનું ઉદ્ઘાટન થશે નહીં. આ કાર્યક્રમમાં કૈલાશ ખેર, પાર્થિવ ગોહિલ, પુરુષોત્તમ ઉપાધ્યાય, કિંજલ દવે અને કીર્તિદાન ગઢવી સહિત અન્ય કલાકારો પણ પર્ફોર્મ કરશે.