કોરોનાવાયરસ: ચીનમાં મૃત્યુઆંક 2004, ભારતીયોને લેવા માટે એરફોર્સનું વિમાન વુહાન જશે

કોરોના વાયરસથી ચીનમાં વધુ 136 લોકોના મોત સાથે મૃત્યુઆંક 2004થયો છે. ચીનના હેલ્થ કમિશન રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે માત્ર હુબેઈ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 132 ના મોત થયા છે. ચીનમાં 1749 નવા કેસ નોંધાયા છે જેમાંથી હુબેઈમાં 1963 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ચીનમાં 74,185 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રશિયાએ જાહેરાત કરી છે કે ગુરુવારથી ચીનના નાગરિકો તેના દેશમાં પ્રવેશ કરી શકશે નહીં. કોરોનાવાયરસના હાહાકારના પગલે રશિયાએ આ નિર્ણય કર્યો છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના નાગરિકો કામ માટે, અભ્યાસ માટે કે પ્રવાસ માટે રશિયામાં આવી શકશે નહીં. આ પ્રતિબંધ હંગામી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) ના ડાયરેક્ટર જનરલ ટેટ્રોસ ઉધનોમ ધેબ્રેયસસે ચીનની હોસ્પિટલના પ્રમુખ ડો. લિયુ ઝિમિંગનું કોરોનાવાયરસના કારણે મોત થતા દુઃખ વ્યક્ત કર્યું છે. ચીનના કોરોના વાયરસથી પ્રભાવિત વુહાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે 20 ફેબ્રુઆરીએ એરફોર્સનું સી-17 ગ્લોબમાસ્ટર પ્લેન વુહાન જશે. ન્યૂઝ એજન્સીએ સેનાના સૂત્રોના હવાલાથી આ માહિતી મંગળવારે આપી હતી. આ વિમાનમાં કોરોનાવાયરસથી પ્રભાવિત નાગરિકો માટે દવાઓ અને મેડિકલ ઉપકરણો હશે. બીજી તરફ જાપાનના યોકોહામાં પોર્ટ પર અટકાવવામાં આવેલા ડાયમંડ પ્રિન્સેજ શીપ પર વધુ બે ભારતીયોમાં કોરોનાવાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે.

જાપાન સ્થિત ભારતીય દૂતાવાસે સોમવારે કહ્યું હતું કે, અગાઉ ચાર ભારતીયોમાં કોરોનાવાયરસ સંક્રમણ જોવા મળ્યું હતું. આ લોકોના આરોગ્યની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. જ્હાજ પર કુલ 454 લોકો કોરોનાથી સંક્રમિત છે. બન્ને ભારતીય ક્રૂ મેમ્બર્સના સભ્ય સહિત તમામને ઈલાજ માટે ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.