મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જન સુખાકારી સુવિધા વૃદ્ધિનો જનહિત અભિગમના દર્શન કરાવ્યા છે. એક જ દિવસમાં 6 મહાનગરપાલિકા અને 7 નગરપાલિકાઓ માટે રૂપિયા 1888 કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરમાં પાંચ ફ્લાય ઓવરબ્રિજ નિર્માણની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં વાહન ચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે સમય અને ઇંધણની બચત થશે. ડીસા-પાલનપુરમાં એક-એક ફલાય ઓવરબ્રીજ બનાવવામાં આવશે.
મુખ્યમંત્રી રુપાણીએ નગરો-મહાનગરોમાં ફલાય ઓવરબ્રીજ, આંતરમાળખાકીય વિકાસના કામો, રસ્તાના કામો તેમજ આગવી ઓળખના કામો, રેલ્વે અંડરબ્રીજના તથા આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે આ ગ્રાન્ટ ફાળવવાની પરવાનગી આપી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજકોટ મહાનગરમાં પાંચ ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે 230 કરોડના કામો મંજૂર કર્યા છે.
તદ્દઅનુસાર, રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ રામાપીર ચોકડી ઓવરબ્રીજ, 150 ફૂટ રિંગ રોડ નાના મવા ચોકડી ઓવરબ્રીજ અને કાલાવાડ રોડ જડુસ રેસ્ટોરન્ટ પાસે ફલાય ઓવર તેમજ ગ્રીન લેન્ડ ચોકડી ઓવરબ્રીજ અને 150 ફૂટ રીંગ રોડ ઉમિયા ચોક પાસે ફલાય ઓવર બ્રીજનું નિર્માણ થશે. રાજકોટમાં આ ફ્લાય ઓવરબ્રીજને પરિણામે સ્માટર્ સિટી રાજકોટમાં માર્ગો પરનું ટ્રાફિક ભારણ હળવું થશે અને નાગરિકોને સમય તથા ઇંધણની પણ બચત થશે. મુખ્યમંત્રીએ ડીસામાં એક ફલાય ઓવર માટે 50 કરોડ તથા પાલનપૂરમાં પણ એક ફલાય ઓવર માટે 28 કરોડના કામોની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી રુપાણીએ શહેરી વિકાસ-શહેરી સુખાકારીના સર્વગ્રાહી અભિગમથી જે કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં અમદાવાદ મહાપાલિકામાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે 599.20 કરોડ, સુરતમાં 479.83 કરોડ તેમજ વડોદરામાં 179.28 કરોડ અને રાજકોટમાં 144.54 કરોડ તથા જામનગર મહાપાલિકાને 65.50 કરોડનો સમાવેશ થાય છે. આ ફાળવણી અન્વયે આંતરમાળખાકીય વિકાસના જે કામો હાથ ધરાશે તેમાં પાણી પૂરવઠા, ડ્રેનેજ લાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ફાયર સેફટીના સાધનોની ખરીદી તેમજ રસ્તા અને લાઇટના કામો ઉપરાંત સિટી સ્કેન મશીન, એમ.આર.આઇ મશીન વગેરેની ખરીદી, અર્બન હેલ્થ સેન્ટર, સાંસ્કૃતિક કેન્દ્ર, મલ્ટીલેવલ પાર્કીંગ, શાક માર્કેટ અને સ્વીમીંગ પુલ અને જીમ્નેશીયમ બનાવવાના કામો હાથ ધરી શકાશે.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ વડોદરા મહાનગરમાં રસ્તાના કામો માટે 35 કરોડ, રાજકોટમાં 25 કરોડ, જામનગરમાં 5.08 કરોડ અને જુનાગઢ મહાનગરમાં 6 કરોડ એમ કુલ 71.08 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. તેમણે રાજકોટ મહાનગરમાં આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે 25 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવા સાથે ડાકોર નગરપાલિકાને આગવી ઓળખના કામો અંતર્ગત ટાઉન હોલ માટે 3 કરોડ તથા ખાનગી સોસાયટી જનભાગીદારી હેઠળ પેવર બ્લોક, સી.સી.રોડ માટે સિધ્ધપૂર નગરપાલિકાને 75 લાખ, કડી નગરપાલિકાને 21 લાખ અને ગોધરા નગરપાલિકાને 48 લાખ મળી કુલ 1.44 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.
તેમણે તળાજા નગરપાલિકાની કચેરીના નવા મકાન માટે એક કરોડ તથા ગોધરા નગરપાલિકાને રેલ્વે અંડરબ્રીજ માટે 9 કરોડ 86 લાખ ફાળવવાની પણ સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે. મુખ્યમંત્રીએ મહાનગરોમાં માર્ગો પરનું વાહન ટ્રાફિક ભારણ હળવું થાય અને વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યા ન નડે તે માટે રાજ્યના શહેરો-નગરોમાં 75 જેટલા ફલાય ઓવરબ્રીજ બનાવવાના નિર્ણયને પગલે અત્યાર સુધીમાં 23 ફલાય ઓવરબ્રીજની નિર્માણની સૈદ્ધાંતિક મંજૂર આપી છે.
હવે રાજકોટ મહાનગરમાં પાંચ નવા ફલાય ઓવરબ્રીજ અને ડીસા તથા પાલનપૂર એક-એક ફલાય ઓવરબ્રીજ બનાવવાની આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે આ ત્રણેય નગરોમાં ટ્રાફીક સમસ્યા મહદઅંશે નિવારી શકાશે.