સંસદમાં સેક્સનો મુદ્દો ઉઠાવનારા એનસીપીના સીનિયર નેતા ડીપી ત્રિપાઠીનું નિધન

એનસીપીના સીનિયર નેતા અને માજી સાંસદ ડીપી ત્રિપાઠીનું ગુરૂવારે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતા અને દિલ્હીની હોસ્પિટલમાં જ તેમનું નિધન થયું હતું. એનસીપીના સીનિયર નેતા પ્રફુલ્લ પટેલે માજી સાસંદ ત્રિપાઠીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારા સાથી ડીપી ત્રિપાઠીના નિધનથી ઉંડો આઘાત લાગ્યો છે. તેમને કદી ભુલી શકાશે નહીં. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે.

હાલમાં ત્રિપાઠી એનસીપીના મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા. ગત વર્ષે જ રાજ્યસભામાં તેમનો કાર્યકાળ પુરો થયો હતો, પોતાના વિદાય ભાષણમાં તેમણે સેક્સના મુદ્દાને ઉઠાવીને કહ્યું હતું કે ગાંધીજી અને લોહિયાએ પણ જેના પર વાતો કરી છે તે સેક્સ પર આજ સુધી સંસદમાં ચર્ચા થઇ નથી. તેમણે કહ્યું હતું કે સેક્સ સંબંધી બિમારીઓથી મોત થાય છે, પણ ક્યારેય એ મુદ્દે વાત થતી નથી.

તેમણે કહ્યું હતું કે જે દેશમાં કામસૂત્ર જેવું પુસ્તક લખાયું ત્યાંની સંસદમાં સેક્સ જેવા વિષય પર ક્યારેય વાત થઇ નથી. એ પુસ્તક લખનારા વાત્સાયનને ઋષિનો દરજ્જો અપાયો હતો. અજંતા ઇલોરાની ગુફાઓ અને ખજુરાહોનો સ્મારક તેને જ સમર્પિત છે. પણ સંસદમાં ક્યારેય આ મુદ્દાને ઉઠાવાયો નથી. 1968માં રાજકારણમાં આવેલા ત્રિપાઠીની સંસદના સારા વક્તાઓમાં ગણતરી થતી હતી.