રૂપાણી સરકારની ખેડુતો માટે જાહેરાત: ઓનલાઇન અરજી કરનાર 17 લાખ ખેડૂતોને ચૂકવાશે રૂપિયા

આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક થઇ હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે કૃષિમંત્રીએ મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, અતિવૃષ્ટીને કારણે ખેડૂતોને જે પણ નુકસાન થયું છે અને આ અંગેની જે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી દીધી છે તેમને આવતા અઠવાડિયામાં ચુકવણી થઇ જશે. જે ખેડૂતોએ હજી અરજી નથી કરી તેમણે 30 ડિસેમ્બર સુધીમાં પાક નુકસાનીની અરજી કરવાની અપીલ કરી છે. તે પછી પણ જો ખેડૂતોની માંગ હશે તો ચર્ચા કરીને ઓનલાઇન અરજી કરવાની તારીખને આગળ પણ લંબાવવામાં આવશે.

કૃષિમંત્રી આર. સી ફળદુએ કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે જણાવતા કહ્યું કે, આખી મોસમમાં ઘણો જ વરસાદ થયો અને તે બાદ કમોસમી વરસાદને કારણે રાજ્યનાં ખેડૂતોનાં ઉભા પાકમાં નુકસાન થયું છે. જે બાદ ખેડૂતોને મદદરૂપ બનવા માટે પેકેજ જાહેર કર્યું જેમાં 3775 કરોડ રૂપિયાની સહાય કરવાનો નિર્ણય થયો. જે બાદ ખેડૂતોને ઓનલાઇન એપ્લિકેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. દરેક ગ્રામ પંચાયતમાં પોતાની વિગતો આપીને પોતાની અરજી આપતા થયા અને આજ સુધીમાં રાજ્યનાં 17 લાખ ખેડૂતોએ અરજી કરી દીધી છે. કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવતા અઠવાડિયામાં આ 17 લાખ ખેડૂતોને પેકેજ પ્રમાણે નાણા ચૂકવી દેવામાં આવશે. 25મી ડિસેમ્બરે અટલ બિહારીનાં જન્મ દિને કૃષિ વિભાગ પોતાનું કામ પતાવી દેશે અને ખેડૂતોને સહાય તેમના ખાતામાં મળવાનાં શરૂ થઇ જશે.

આ સાથે તેમણે કહ્યું કે, ’જે પણ ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું છે તેમને તમામને નાફેડ બે દિવસમાં રુપિયા આપી દેવામાં આવશે.’ તેમણે તીડ મામલે પણ જણાવ્યું કે, સુઇ અને વાવ તાલુકાનાં ૧૪થી ૧૫ ગામોમાં તીડ આવી ગયા હતાં. તેના કારણે પણ કૃષિ વિભાગ સર્વે હાથ ધરશે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને સરકાર મદદરૂપ બનશે.