ગૌરવ દહિયા પ્રકરણ: લીનુસિંહ અમદાવાદમાં, કહ્યું “મારી દિકરીને તમામ હક મળવા જોઈએ”

સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયા અને દિલ્હીની મહિલા લીનુસિંહ વચ્ચેના કથિત પ્રેમપ્રકરણ મામલે આજે લીનુસિંહ અમદાવાદ આવી છે. લીનુસિંહ રાજ્ય પોલીસ વડા, મુખ્યમંત્રી અને તપાસ સમિતિ તેમજ ગાંધીનગર એસપીને મળીને રજૂઆત કરશે. જેમાં તેણી દહિયા સામે પોતાની ફરિયાદ નોંધવા અને દહિયા તેની દીકરીને સ્વીકારવા તૈયાર નથી, તેને લઈ તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગણી કરશે. મેં ક્યારેય ગૌરવ દહિયાને બ્લેકમેલ કર્યાં નથી.

જ્યારે ગૌરવ દહિયાએ તૈયાર કરેલી લીનુસિંહ વિરુદ્ધની અરજી બાબતે તેણીએ જણાવ્યું હતું કે, જો મેં તેને(ગૌરવ દહિયા) બ્લેકમેલ કર્યાં હોત તો તેઓ મને શા માટે દિલ્હીના પોશ વિસ્તારમાં મકાન લઈઆપે?  પોલીસમાં અરજી કરી છે હોવાથી ગૌરવ દહિયાએ મારી વિરુદ્ધમાં અરજી કરી છે. ગૌરવ દહિયા એકદમ ખોટું બોલે છે. મારી જિંદગી ક્રાઈમ પેટ્રોલમાં આવતા કિસ્સા કરતા પણ ખરાબ થઈ ગઈ છે.

લીનુસિંહે વધુમાં જણાવ્યું હતું કે ગૌરવ દહિયાએ મને છેતરી છે. મારી સાથે લગ્ન કર્યાના તમામ પુરાવાઓ છે, જ્યારે હું મારી દીકરીના ઉગઅ ટેસ્ટ માટે પણ રાજી છું, ગાંધીનગર પોલીસમાં અરજી કરી હતી, પરંતુ તેનો હજુ સુધી કોઈ જવાબ ના આવતા અને પોલીસે પણ મારો કોઈ સંપર્ક ન કરતા મારે ગાંધીનગર આવવાની ફરજ પડી છે અને હું આજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને મળીને પોલીસ કેસ થાય તે અંગેની રજૂઆત કરીશ અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ગુજરાતમાં જ રહીશ.

આ અંગે લીનુસિંહે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ મામલે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, તેની મને જાણ નહોતી. હું મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા અને ગાંધીનગરના જજને મળીને રજૂઆત કરવા માંગુ છું. જ્યાં સુધી મારી ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી હું અહીંથી જઈશ નહીં. મારી દીકરીને તેના તમામ હક્કો મળવા જોઈએ અને તેના માટે મારી રજૂઆત છે. હું મહિલા આયોગ અને ગૌરવ દહિયાની તપાસ કરનાર સમિતિને પણ મળવા માંગુ છું. આ તમામ લોકોને મળીને હું રજૂઆત કરીશ. જો કે મને મળવા માટે કોઈએ સમય આપ્યો નથી.

લીનુસિંહે થોડા દિવસ પહેલા આ કેસની તપાસ કરી રહેલી સમિતિ સમક્ષ દહિયાની કરણી અને કથનીની નાનામાં નાની વિગત રજૂ કરી છે. લીનુસિંહ આ સમિતિને જ્યારે પહેલીવાર મળવા ગઈ ત્યારે તપાસ સમિતિએ તેની પાસે પુરાવા માંગ્યા હતા. જેથી લીનુસિંહે 200થી વધુ પેજના સ્ક્રીન શોટ, અને ગૌરવ તેણીને જ્યારે માર મારતો તેના ફોટોગ્રાફ આપ્યા હતા.

જ્યારે તાજેતરમાં દહિયાની પૂર્વ પત્ની શિવાની બિશ્નોઇએ પણ તપાસ સમિતિને જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2018માં ગૌરવે કહ્યું કે હું મંદિરે દર્શન કરવા તિરૂપતિ જાઉ છું, પરંતુ જતાં જતાં તેણે પોતાની સાથે બેગમાં બ્લેઝર લેતા તેને શંકા ગઇ હતી. ત્યાર બાદ શિવાનીએ ગૌરવને આ અંગે પૂછતા તે ઉશ્કેરાઈ ગયો હતો. પરંતુ તેણીની શંકા સાચી પડી. ગૌરવે તિરૂપતિ જઈને જે બ્લેઝર ઘરેથી લઈને નીકળ્યો હતો, તે જ બ્લેઝરમાં લીનુસિંહ સાથે લગ્ન કર્યાં. આ ફોટોગ્રાફને શિવાનીએ ઓળખી બતાવ્યા છે. શિવાનીએ ગૌરવ દ્વારા આપવામાં આવેલા શારીરિક ત્રાસ અંગેના પુરાવા પણ આપ્યા હતા. આ ઉપરાંત શિવાનીએ એમ પણ જણાવ્યું છે કે ગૌરવ અને તે એક ઘરમાં રહેતા હતા, પણ ગૌરવ હંમેશા બીજી યુવતીઓ સાથે સતત સંપર્કમાં રહેતો હતો.