કચ્છના હિજરતીઓને આશ્રય આપવા ખેતરનો પાક વાઢી નાંખ્યો, ફરિશ્તા બનેલા સાણંદના વાઘેલા બાપુ

કચ્છના બન્નીમાંથી કેટલાક કુંટુંબો હિજરત કરીને અમદાવાદના સાણંદ તાલુકના ઈઆવા ગામે રોકાયેલા છે. હિજરતીઓને જોઈને સાણંદના સામાજિક કાર્યકર રાજેન્દ્રસિંહ વાઘેલનું દિલ દ્રવી ઉઠયું. હિજરતીઓ પાસે ખાવાના સાંસા, રહેવાના ફાંફા હતા. એવામાં રાજેન્દ્રસિંહ વાઘેલાએ હિજરતીઓ માટે રહેવાનો પ્રબંધ કર્યો.

તમને જાણીને નવાઈ લાગશે કે હિજરતીઓ માટે રાજેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના ખેતરમાંથી પાકને કાપી નાંખ્યો. રહેવા માટે હિજરીતીઓ ટેન્ટ બનાવી શકે તેવી સુવિધા કરી આપી. આટલું જ નહી પાણીની અછત ન સર્જાય તેના માટે સ્વખર્ચે નાનકડું તળાવ પણ બાંધી દીધું. આને કહેવાય કે માનવજાતની સેવા કરવાન ભેખ.

હિજરતીઓને અનાજની કીટનું વિતરણ કરતા બદરૂદ્દીન શેખ અને તેમની ટીમ

રાજેન્દ્રિસંહ વાઘેલા દ્વારા કચ્છના હિજરતીઓ અંગે કરેલી સેવાની સુવાસ ચારેચરફ ફેલાતા અમદાવાદ કોંગ્રેસના નેતા અને પ્રવક્તા બદરૂદ્દીન શેખ પણ હિજરતીઓને મદદ કરવા સાણંદ પહોંચી ગયા હતા. બદરૂદ્દીન શેખે હિજરતીઓને પૈસાના કવર અને અનાજની કિટનું વિતરણ કર્યું હતું. બદરૂદ્દીન શેખની સાથે ગુલ્લુ ભાઈ, રફીક શેઠજી, ઝફર અજમેરી ઝ,ફર શેખ, સમીર શેખ, સરફરાઝ મેમણ, યુસુફભાઈ ઘાંચી, ગુલામ નબીભાઈ અને અઝીમ મેમણ હાજર રહ્યા હતા.

રાજેન્દ્રસિંહ વાઘેલા સાથે બદરૂદ્દીન શેખ

બીજી તરફ અમદાવાદના જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ કહ્યું છે કે કચ્છમાંથી હિજરત કરનારા તમામ લોકોને તેમના વતનમાં પાછા ફરવાની અપીલ કરવામાં આવે છે. વહવટી તંત્ર હિજરતીઓને અછતની રાહત આપી શકે એમ નથી, કારણ કે સાણંદને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું નથી. સાણંદમાં અત્યાર સુધી 250 કુટુંબો સ્થળાંતર કરીને આવી પહોંચ્યા છે. બધા જ પરંપરાગત કચ્છી પહેરવેશ સાથે ગમે તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.